text

આ બ્લોગનો મૂળ હેતુ શિક્ષક અને બાળકો ને ઉપયોગી માહિતી મુકવાનો છે જેમાં આપ ને કોઈ પણ વાંધાજનક બાબત લાગે તો મારો સંપર્ક કરી જાણ કરવી જેને તરત જ દુર કરવામાં આવશે. અશ્વિન પ્રજાપતિ, મો. ૯૭૨૪૦૮૯૧૮૧.

Friday, June 26, 2026

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026

 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

***** 

કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને શાહપુરની આદર્શ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન

*****

આત્મનિર્ભર ભારત બનવા માટે સૌપ્રથમ આત્મનિર્ભર માણસ બનવું જરૂરી :- કલેકટર શ્રી રવિન્દ્ર ખતાલે

***** 

રાજ્યભરમાં પ્રારંભ થયેલા 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમના દ્વિતીય દિવસે, ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-૧ અને ૯ ના કુલ ૧૦૯ બાળકોને શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ અંતર્ગત આજે આંગણવાડીના ૨૦, બાલવાટિકાના ૩૭ અને ધોરણ-૧ તથા ૯ ના ૫૩ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું હતું.


આ અવસરે શિક્ષણનું મહત્વ સમજાવતા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના વિઝનરી અભિયાનને લીધે આજે શૈક્ષણિક ક્ષેત્રે ડ્રોપ-આઉટ રેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક સમય હતો જ્યારે મહિલાઓએ અન્ય પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ આજે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં ટોપર બનીને દેશનું ગૌરવ વધારી રહી છે. દેશના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ પર પણ આજે એક મહિલા બિરાજમાન છે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે. દીકરીઓ આત્મનિર્ભર બનશે, તો જ સશક્ત સમાજનું નિર્માણ થશે અને કોઈ તેમનું ઉત્પીડન કરી શકશે નહીં.


કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારત બનવા માટે સૌપ્રથમ આત્મનિર્ભર માણસ બનવું જરૂરી છે. ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે. આપણા આંગણે જ ગિફ્ટ સિટી જેવું વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓ માટે વિકાસના અનંત દ્વાર ખુલ્યા છે. શિક્ષણમાં ડિજિટલ ક્લાસરૂમ અને એનિમેશન જેવા આધુનિક સાધનો આવકાર્ય છે, પરંતુ તેની નકારાત્મક બાજુ તરફ ધ્યાન દોરતા તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, ટેક્નોલોજીના અતિરેકથી બાળકોનો 'સ્ક્રીન ટાઈમ' ચિંતાજનક રીતે વધ્યો છે. પરિણામે, નવી પેઢીમાં પુસ્તક પઠન અને મેદાની રમતો પ્રત્યેનો રસ ઓછો થઈ રહ્યો છે.


કલેક્ટરશ્રી ખતાલેએ વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં ઉમેર્યું કે, જો ભવિષ્યમાં IAS, IPS, DPO, મામલતદાર કે TDO જેવી ઉચ્ચ વહીવટી પદવીઓ પ્રાપ્ત કરવી હોય, તો રોજ ૪ થી ૫ કલાક નિયમિત પુસ્તક પઠનની ટેવ પાડવી અનિવાર્ય છે. તેમણે પોતાના સંઘર્ષનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, પોતે મૂળ મહારાષ્ટ્રના વતની હોવા છતાં, ગુજરાતી ભાષા શીખીને આજે ગુજરાત રાજ્યમાં સફળતાપૂર્વક વહીવટી સેવાઓ આપી રહ્યા છે. અંતમાં, બાળકોમાં એકાગ્રતાના વિકાસ માટે નિયમિત યોગાભ્યાસ કરવા તેમજ વ્યક્તિગત અને સામાજિક સ્વચ્છતાના સંસ્કારો કેળવવા માટે તેમણે વિશેષ ભાર મૂક્યો હતો.


આ પ્રસંગે ગામના સરપંચશ્રી અને વિવિધ CSR સંસ્થાઓના જનભાગીદારીથી શાળામાં આશરે રૂ. ૫૦ થી ૬૦ લાખના ખર્ચે ઊભા કરાયેલા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ નવીન કમ્પ્યુટર લેબની કલેક્ટરશ્રીએ પ્રશંસા કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે કલેક્ટરશ્રીના હસ્તે 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના' અને 'જ્ઞાન સેતુ' મેરિટ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઝળહળતી સફળતા મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં શાહપુર ગામના સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. પિયુષ પટેલ, તાલુક વિકાસ અધિકારી શ્રી મલય ભુવા, એ.જી ઓડીટ ઓફિસર- એચ.કે શ્રીવાસ્તવ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








Tuesday, August 5, 2025

બેગલેસ કાર્યક્રમ

 બેગલેસ કાર્યક્રમ તા. ૦૨/૦૮/૨૦૨૫ 

શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા.જિ. ગાંધીનગર

તા. ૦૨/૦૮/૨૦૨૫, શનિવાર


શાળામાં તા. ૦૨/૦૮/૨૦૨૫, શનિવારના રોજ "બેગલેસ દિવસ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે બાળકોને દફ્તરના ભાર વિના આનંદદાયક પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓને વિવિધ કારીગરોની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં કડીયાકામ, દરજીકામ, ધોબીકામ, કાપડ વેપારી અને મંદિર નિર્માણ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા લોકોની મુલાકાત કરાવીને બાળકોને તેમના કાર્ય અને મહત્વ વિશે સીધી જાણકારી આપવામાં આવી. આ પ્રવૃત્તિથી બાળકોએ વ્યવસાયલક્ષી જ્ઞાન મેળવ્યું અને સમાજમાં દરેક કામનું સન્માન કરવું કેટલું જરૂરી છે તે પણ સમજ્યા.

આ ઉપરાંત, ધોરણ ૩ થી ૫ ના બાળકો માટે વિવિધ બાળરમત અને બાળગીત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આનંદ સાથે મનોરંજન મેળવ્યું.

કાર્યક્રમના અંતે, શાળાના આચાર્યશ્રી ડૉ. અશ્વિનભાઈ પ્રજાપતિએ તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમણે આવા પ્રવૃત્તિલક્ષી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને બાળકોને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે એક યાદગાર દિવસ બની રહ્યો.









Saturday, July 26, 2025

બેગલેસ કાર્યક્રમ

 

શાહપુર આદર્શ પ્રાથમિક શાળા: બેગલેસ કાર્યક્રમ અહેવાલ

તારીખ: ૨૬ જુલાઈ, ૨૦૨૫ (શનિવાર)

આજ રોજ શાહપુર આદર્શ પ્રાથમિક શાળામાં "બેગલેસ દિવસ" કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓએ શાળાના પારંપરિક અભ્યાસક્રમથી હટીને વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સહયોગ અને વ્યવહારિક જ્ઞાનનો વિકાસ કરવાનો હતો. દિવસભરની પ્રવૃત્તિઓ નીચે મુજબ હતી:

  • સમૂહ સફાઈ અને સ્વચ્છતા રેલી: વિદ્યાર્થીઓએ શાળા પરિસરની સમૂહ સફાઈ કરીને સ્વચ્છતાનું મહત્વ સમજ્યું. ત્યારબાદ, "સ્વચ્છતા જ સેવા છે" ના સૂત્રોચ્ચાર સાથે ગામમાં સ્વચ્છતા રેલી યોજીને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો.

  • ચિત્રકામ (મુક્ત પાને ચિત્રો દોરવા): બાળકોને તેમની કલ્પનાશક્તિને મુક્તપણે વ્યક્ત કરવાની તક મળી. મુક્ત પાને ચિત્રો દોરીને તેમણે પોતાની આંતરિક કલાત્મકતાનું પ્રદર્શન કર્યું.

  • ગણિત, વિજ્ઞાન અને ભાષાની પ્રવૃત્તિઓ: પુસ્તકિયા જ્ઞાનને બદલે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. ગણિત, વિજ્ઞાન અને ભાષા વિષયને લગતી પ્રાયોગિક અને રસપ્રદ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી, જેનાથી વિદ્યાર્થીઓએ રમત-ગમતમાં જ્ઞાન મેળવ્યું.

  • શૈક્ષણિક રમતો: વિવિધ શૈક્ષણિક રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન અને તાર્કિક ક્ષમતાનો વિકાસ થયો. આ રમતોએ બાળકોને સહયોગ અને સ્પર્ધાત્મક ભાવના શીખવી.

આ બેગલેસ દિવસ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આનંદદાયક અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે.











Monday, July 21, 2025

બેગલેસ કાર્યક્રમ

 

તા. 12 જુલાઈ, 2025 ના રોજ શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા. જી. ગાંધીનગર ખાતે બાલવાટિકા થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે "બેગલેસ દિવસ" કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ અનોખા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શાળાકીય અભ્યાસના ભારણમાંથી મુક્ત કરી, પ્રવૃત્તિ-આધારિત શિક્ષણ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનો હતો.

આજની પ્રવૃત્તિઓની શરૂઆત બાલવાટિકા થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે સમૂહ યોગ પ્રદર્શનથી થઈ. નાના ભૂલકાઓએ ઉત્સાહભેર યોગાસનો અને લેઝીમના તાલબદ્ધ પ્રદર્શનમાં ભાગ લીધો, જેણે સમગ્ર વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દીધું. વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને સ્ફૂર્તિ સ્પષ્ટપણે જોવા મળી રહી હતી.






તા. 19 જુલાઈ, 2025 ના રોજ  શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા. જી. ગાંધીનગર ખાતે બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓ માટે બેગલેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અનોખા કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકોના ભારણમાંથી મુક્તિ આપી, પ્રવૃત્તિલક્ષી શિક્ષણ દ્વારા જ્ઞાન અને આનંદનો અનુભવ કરાવવાનો હતો.

બાલવાટિકાથી ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો દ્વારા બાળકોએ ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું અને તેમની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહન મળ્યું. શિક્ષકોએ ઉત્સાહભેર આ પ્રવૃત્તિઓમાં બાળકોને માર્ગદર્શન આપ્યું અને વાતાવરણ હસતું-રમતું રહ્યું.

જ્યારે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગામના નજીકના સ્થળની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ ગામની બ્રહ્મા કુમારી સંસ્થાની મુલાકાત લીધી. સંસ્થાના વડા શ્રી બી. કે. જયશ્રીબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થાના કાર્યો, મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન વિશે વિગતવાર માહિતી આપી. આ મુલાકાત દરમિયાન શ્રી બી. કે. જયશ્રીબેને તમામ વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ નાસ્તો પણ કરાવ્યો. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક રહી.







એક પેડ માં કે નામ

 

શાહપુર આદર્શ પ્રાથમિક શાળામાં "એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, [જુલાઈ 21, 2025] - શાહપુર આદર્શ પ્રાથમિક શાળા, તા. જી. ગાંધીનગરમાં પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુસર શનિવાર, તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ના રોજ "એક પેડ માં કે નામ" કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓની માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વૃક્ષારોપણ દ્વારા હરિયાળું વાતાવરણ નિર્માણ કરવાનો હતો. માતાઓએ પોતાના બાળકોના નામે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણના આ સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. આ પ્રવૃત્તિથી બાળકોમાં પણ નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના કેળવાશે. શાળા પરિસરમાં રોપવામાં આવેલા આ વૃક્ષો ભવિષ્યમાં છાંયડો અને શુદ્ધ હવા પૂરી પાડશે, જે શાળા અને સમાજ બંને માટે લાભદાયી બનશે. આ પ્રકારના કાર્યક્રમો પર્યાવરણ જાગૃતિ માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.




Monday, June 30, 2025

કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ 2025

ગાંધીનગર તાલુકાની શાહપુર આદર્શ પ્રાથમિક શાળા માં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનુ આયોજન કરવામાં આવ્યું. અ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી સાહેબ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હાર્દિકભાઈ પટેલ પણ હાજર રહ્યા. વિશેષ ઉપસ્થિતિ માં ગામના ઉત્સાહી સરપંચ શ્રી અર્પિતભાઈ પટેલ, એસ,એમ. સી. સભ્યો, તાલુકા સદસ્ય શ્રી, પૂર્વ સદસ્યશ્રી અને ગામના ઉત્સાહી વડીલો અને યુવાનો હાજર રહ્યા. ગામના યુવાનો દ્વારા શાળાના બાળકોને  રોકડ અને વસ્તુ સ્વરૂપે 1,50,000/- થી વધુની કિમતનું દાન આપવામાં આવ્યું. 














Monday, June 9, 2025

પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025

 ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ સંદર્ભે એક ભવ્ય કાર્યક્રમ  યોજાયો 

               તા. 27મી એપ્રિલ - 2025, રવિવારે  ગાંધીનગર ટાઉનહોલમાં 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિત જોશીની પ્રેરણાથી શિક્ષકોએ સ્વયંભૂ રીતે  'હું છું પર્યાવરણ સંરક્ષક' અભિયાન ચલાવી પર્યાવરણ સંલગ્ન સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કર્યું. વિદ્યાર્થીઓને આ યજ્ઞકાર્યમાં જોડવાનો પ્રયત્ન કર્યો તથા ભવિષ્યમાં પણ આ અભિયાનને વધારે વેગવંતુ બનાવવા સંકલ્પ લીધો. 

      માધવ ચેરીટેબલ ટ્રસ્ટ-કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- મહેસાણા, અનંતા એજ્યુકેશન- ગાંધીનગર દ્વારા શિક્ષકોની આ સરાહનીય પહેલને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના આજના સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, જી.સી. ઈ.આર.ટી. સચિવ શ્રી એસ. જે. ડુમરાળિયા સાહેબ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકાની શાહપુર પ્રાથમિક શાળા ના આચાર્યને માન. શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબ ના હસ્તે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ અંતર્ગત શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ગુજરાતના 33 જિલ્લા માંથી આવેલ 2,525 શિક્ષકોની પણ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.